21 Jan जन्मदिन कवि दलपतराम
કવિ દલપતરામ “જન્મદિન"21જાન્યુઆરી1820
*ત્રવાડી/ કવિ દલપતરામ ડાહ્યાભાઈ(૨૧-૧-૧૮૨૦, ૨૫-૩-૧૮૯૮):કવિ.જન્મ વતન સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં.* પ્રાથમિક કેળવણી ત્યાંની ગામઠી શાળામાં. પિતા પાસે કુળ-પરંપરા પ્રમાણે વેદ શીખવાનો પ્રારંભ કર્યો, પરંતુ પિતાના ક્રોધી સ્વભાવને લીધે શીખી ન શક્યા. બાળપણથી પ્રાસતત્વવાળી હડૂલા જેવી કવિતા કરવાનો શોખ. શામળની પદ્યવાર્તાઓ સાંભળી એ પ્રકારની ‘હીરાદન્તી’ અને ‘કમળલોચની’ જેવી વાર્તાઓ પદ્યમાં લખી,પરંતુ ચૌદ વર્ષની ઉંમરે ભૂમાનંદ સ્વામીથી પ્રભાવિત બની સ્વામીનારાયણ સંપ્રદાય અંગીકાર કર્યો એટલે એ વાર્તાઓ બાળી નાખી. પછી દેવાનંદ સ્વામી પાસે પરંપરાપ્રાપ્ત કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્રજભાષાની કાવ્યરીતિનું શિક્ષણ લીધું. ચોવીસ વર્ષની ઉંમરે અમદાવાદના સ્વામીનારાયણ મંદિરમાં સંસ્કૃતના વિશેષ અભ્યાસ માટે આવ્યા.તે દરમિયાન ભોળનાથ સારાભાઈ સાથે પરિચય થયો.૧૮૪૮માં ભોળાનાથની ભલામણથી અમદાવાદના આસિસ્ટન્ટ જજ ઍલેકઝાંડર કિન્લૉક ફૉર્બસનું નિમંત્રણ મળ્યું એટલે વઢવાણથી અમદાવાદ આવ્યા અને ગુજરાતી ભાષા અને સાહિત્ય શીખવવા માટે ફૉર્બસના શિક્ષક બન્યા. ફૉર્બસ સાથેનો આ મેળાપ ઘનિષ્ઠ મૈત્રીમાં પરિણમ્યો. પાંચેક વર્ષ ફૉર્બસ સાથે ગુજરાતનાં વિવિધ રાજ્યોમાં ‘રાસમાળા’ની સામગ્રી ભેગી કરવા માટે પર્યટન કર્યું તેમ જ શિક્ષણ અને નવજાગૃતિ સારુ ફૉર્બસે આદરેલા પુરુષાર્થમાં સહભાગી બન્યા. ૧૮૫૪માં ફૉર્બસ ઈંગ્લૅન્ડ ગયા ત્યારે એમની ભલામણ થી સાદરામાં સરકારી નોકરી સ્વીકારી.પરંતુ ૧૮૫૫માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના મંત્રી કટિંસ સાહેબના સૂચનથી અને ફૉર્બસની વિનંતિને માન આપી સારા પગારવાળી સરકારી નોકરી છોડી અમદાવાદ પાછા આવી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને ‘બુદ્ધિપ્રકાશ’ માસિકની જવાબદારી સંભાળી. ૧૮૫૮માં ‘હોપ વાચનમાળા’ ની પુસ્તિકાઓ તૈયાર કરવામાં સરકારને મદદ કરી. ૧૮૭૯માં આંખની વ્યાધિને લીધે વર્નાક્યુલર સોસાયટીમાંથી નિવૃત્તિ લીધી. અમદાવાદમાં અવસાન.ગુજરાતી કવિતાને અર્વાચીનતાના વહેણમાં મૂકવામાં નર્મદની કવિતા જેટલી જ દલપતરામની કવિતા મહત્વની છે. જોકે કેટલાક વિશિષ્ટ સંજોગોને લીધે મધ્યકાલીનતા અને અર્વાચીનતા બન્નેના વણાટમાંથી એમની કવિતાનો દેહ બંધાયો છે.રસ નો મહિમા કરવા છતાં વ્રજભાષાની કાવ્યરીતિ અને શામળની વાર્તાઓના સંસ્કારને લીધે શબ્દ અને અર્થની ચાતુરીથી કાવ્યત્વ સિદ્ધ કરવા તરફ એમનું લક્ષ વિશેષ રહ્યું. સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રભાવને કારણે સદાચાર અને નીતિનો બોધ આપતી કવિતાને એમણે સાચી માની. છતાં એમની કવિતાને અર્વાચીનતાનો રંગ લાગ્યો ફૉર્બસનાં મેળાપને લીધે. એ સંબંધથી એમનામાં પ્રાંતપ્રેમની ભાવના આવી તથા અંગ્રેજશાસન અને અંગ્રેજ સંસ્કૃતિને લીધે સમાજજીવનમાં શરૂ થયેલા પરિવર્તનને વિધાયક દ્રષ્ટિથી જોવાની ને પુરસ્કારવાની ઉદાર રુચિ કેળવાઈ. આ બે તાણાવાણાથી વણાયેલી એમની મોટા ભાગની કવિતા પ્રાસંગિક,દ્રષ્ટાંતાત્મક,ઉપદેશાત્મક, સુધારાવાદી વલણવાળી,શબ્દ અને અર્થનીચાતુરીવાળી,લોકગમ્ય, સભારંગની અને લોકપ્રિય બની.‘દલપતકાવ્ય’-ભા.૧, ૨ (૧૮૭૯, ૧૮૯૬)માં સંગૃહીત કાવ્યો પૈકીનાં ઘણાં અગાઉ નાની પુસ્તિકાઓ રૂપે પ્રકાશિત થયેલાં, પરંતુ એ દરેકની પહેલી પ્રકાશનસાલ ચોક્કસપૂણે અત્યારે ઉપલબ્ધ નથી.અર્વાચીન ગુજરાતી કવિતાનું પહેલું કાવ્ય ‘બાપાની પીંપર’ ૧૮૪૫ માં લખનાર આ કવિનું કાવ્યસર્જન વિપુલ છે. ગરબીપદ જેવી ટૂંકી રચનાઓથી માંડી મધ્યકાલીન આખ્યાન જેવી લાંબી રચનાઓની વચ્ચે અનેક નાનીમોટી કૃતિઓ એમણે રચી છે. ‘વેનચરિત્ર’ ને બાદ કરતાં કવિની લાંબી રચનાઓને કોઈ નિશ્ચિત કાવ્યપ્રકાર તરીકે ઓળખાવી શકાય એમ નથી.નવા વિષયો અને વિચારોને વ્યકત કરવાને એમને મધ્યકાલીન કાવ્યપ્રકારો બહુ અનુકૂળ આવ્યા નથી.‘વેનચરિત્ર- બાળલગ્નનિષેધ અને પુનર્વિવાહોત્તેજન વિશે’ માં વિવિધ દેશીઓવાળાં પદોમાં આખ્યાનપદ્ધતિએ વેનરાજાની કથા દ્વારા વિધવા સ્ત્રીઓની કરુણ સ્થિતિ, વિધવાવિવાહના પ્રશ્ને વેનરાજાએ સામાજિક સંઘર્ષનો કરવો પડેલો સામનો એ સઘળાનું વીગતપૂર્ણ વાસ્તવિક ચિત્ર આપી કાવ્યાંતે વિધવાપુનર્લગ્નની હિમાયત કરી છે.સુધારાલક્ષી દ્રષ્ટિની સાથે કૃતિને રસલક્ષી બનાવવા તરફ કવિનું લક્ષ રહ્યું હોવા છતાં એમાં એમને ઝાઝી સફળતા મળી નથી. રસિક રીતે કથા કહેવાની કે પદોને કડવાંની ચુસ્તતા આપવાની શક્તિ તેઓ દાખવી શક્યા નથી.
જાહેર વ્યાખ્યાનો રૂપે રચાયેલી એમની કેટલીક લાંબી કૃતિઓમાં કથાનો આશ્રય લઈ કે દ્રષ્ટાંતો આપી વકતવ્યને રસિક બનાવવાની એમની નેમ રહી છે. વ્યવહારુ બોધ દરેક કૃતિનું સામાન્ય લક્ષણ છે.એમાં મુખ્યત્વે દુહા-ચોપાઈના બંધવાળી ‘હિંદુસ્તાન ઉપર હુન્નરખાનની ચઢાઈ’ યંત્રોદ્યોગના આગમનને રાષ્ટ્રવિકાસ અર્થે ઉપકારક માની બિરદાવતી, ‘વેનચરિત્ર’ ને મુકાબલે નાની પણ સુગ્રથિત રૂપકકથાવાળી કૃતિ છે. ‘જાદવાસ્થળી’ માં કેફી દ્રવ્યોથી થતા નુકસાનની વાત,ભાગવતના અગિયારમા અધ્યાયમાં આવતા પ્રસંગનો આધાર લઈ થઈ છે ખરી, પરંતુ પ્રસંગકથન નબળું છે. દુહા, ચોપાઈ, સવૈયા, ભુજંગી ઇત્યાદિ છંદોમાં રચાયેલા ‘સંપલક્ષ્મીસંવાદ’માં ધન નહીં પરંતુ એકતા મહત્વની છે એ બોધ નિર્ધનશા વણિકની કથા દ્વારા આપ્યો છે.કથા કરતાં સંપ અને લક્ષ્મી વચ્ચેનો સંવાદ અહીં આકર્ષક અંશ છે. રાજા માટે વિદ્યાભ્યાસનું મહત્વ બતાવવા રચાયેલી, ગંડુરાજાની જાણીતી વાર્તાને સમાવતી ‘રાજવિદ્યાભ્યાસ’ તથા ભાવનગરના એક રાજ્વીના જીવનપ્રસંગને આલેખી એ દ્વારા રાજાના ક્ષમાગુણનો મહિમા કરતી ‘વિજ્યક્ષમા’,વડોદરાના ખંડેરાવ ગાયકવાડની રાજ્યસભામાં ગુજરાતી ભાષાની દુર્દશાનો વાસ્તવિક ચિતાર આપતી અને ગુર્જરવાણીની વકીલાત કરતી તથા કવિની ભાષા પ્રીતિને વ્યક્ત કરતી ‘ગુર્જરવાણી-વિલાપ’ વગેરે આ પ્રકારની રચનાઓ છે.
‘કવિતાવિલાસ અથવા ફાર્બસવિલાસ’ અને ‘વિજ્યવિનોદ’ એ દલપતરામ પર પડેલા વ્રજભાષાની કાવ્યરીતિના સંસ્કારોને પ્રબળ રીતે પ્રગટ કરતી ગદ્યપદ્યમિશ્રિત રચનાઓ છે. શબ્દ અને અર્થની શ્લેષયુક્ત રમતો, ચિત્રપ્રબંધો, બોધક દ્રષ્ટાંતકથાનકોની આતશબાજી ઉડાવતી આ કૃતિઓનું લક્ષ્ય કાવ્યવિનોદ છે.જીવનનાં પાછલાં વર્ષોમાં રચાયેલી લાંબી કૃતિઓમાં સહજાનંદ સ્વામીના જીવનકાર્યનો મહિમા કરતી ‘હરિલીલામૃત’-ભા.૧-૨ નું પ્રગટ કર્તૃત્વ આચાર્ય બિહારીલાલજીનું છે,પરંતુ વાસ્તવમાં એની રચના દલપતરામે કરી છે. વિવિધ છંદોમાં સંકલિત ‘તખ્તવિલાસ’ ભા.૧-૨માં ભાવનગરના મહારાજા તખ્તસિંહજીનાં કાર્યોની પ્રશસ્તિ છે.પરંતુ દલપતરામની લાંબી રચનાઓમાં સૌથી વિશેષ રસાવહ કૃતિ ‘ફાર્બસવિરહ’ છે. એમની કૃતિઓમાં બહુધા આત્મલક્ષી તત્વ ઓછું છે, પણ આ કૃતિ ફૉર્બસના મૃત્યુના આઘાતથી કવિચિત્તમાં જન્મેલી ઊંડા શોકની લાગણીને વ્યક્ત કરતી આત્મલક્ષી કવિતા છે. તે ગુજરાતીની પહેલી કરુણપ્રશસ્તિ છે. વ્રજભાષાની કવિતાથી બંધાયેલી કાવ્યરુચિને કારણે અહીં પણ સ્થૂળ પ્રયુક્તિઓથી કવિ કાવ્યશક્તિ બતાવવા મથે છે ત્યારે એ પ્રકારનું નિરૂપણ કાવ્યના શોકભાવ સાથે વિસંવાદી બની રહે છે. જોકે કવિની ગૂઢ વ્યથાને વ્યકત કરતાં કેટલાંક ચિરંતન મુક્તકો અહીં સુલભ બન્યાં છે.
દલપતરામની ટૂંકી રચનાઓમાં મધ્યકાલીન ગરબીઓ, પદો અને લોકગીતોના પ્રચલિત ઢાળ ઊપાડી વિવિધ વિષયો પર રચાયેલાં ગરબી-પદો તથા અનેક છંદોબદ્ધ કાવ્યોનો સમાવેશ થાય છે. બાળક- બાળકીના જીવનના વિવિધ માંગલિક પ્રસંગોએ ગાવાનાં ગીતોવાળી ‘માંગલિક ગીતાવલી’, જ્ઞાન ને ઉપદેશના તત્વવાળી‘કચ્છ ગરબાવાળી’, શેરસટ્ટાની તથા નામાંકિત જનો વિશેની ગરબીઓ વગેરે ગેયકૃતિઓમાં વ્યવહારુ ડહાપણ અને ઉપદેશક વલણ પ્રબળ છે.ગરબીના ભાવસહજ લયની સૂઝ ‘આકાશ ને કાળની ગરબી’ જેવી રચનામાં કવચિત જ જોવા મળે છે. આને મુકાબલે ‘હોપવાચનમાળાનાં કાવ્યો’ અને કેટલાંક અન્ય ટૂંકાં કાવ્યો, એમાં વ્યવહારુ ઉપદેશ હોવા છતાં એમાંની દ્રષ્ટાંતાત્મક રીતિ અને મર્માળા વિનોદને લીધે વિશેષ આસ્વાદ્ય બન્યાં છે. દલપતરામની કેટલીક ચિરંજીવ કૃતિઓ અહીં છે. નર્મદને અનુસરી દલપતરામે પણ સ્થાનવર્ણનનાં અને ઋતુવર્ણનનાં કાવ્યો રચ્યાં છે, જેમાં પ્રકૃતિવર્ણનની સાથે જ જનજીવનને વણી લેવાનું વલણ દેખાય છે.વાચ્યરૂપે આવતી બોધાત્મકતા, કાવ્યાનુરૂપ વિષયની પસંદગી કે ભાવાનુકૂલ ભાષા-છંદ પ્રયોજવાની સૂઝનો અભાવ, શબ્દનાં સ્થૂળ તત્વોથી જ કાવ્યત્વ સિદ્ધ કરવાનો પ્રયત્ન વગેરે જેવી એમની કવિતાની કેટલીક ગંભીર મર્યાદાઓ સ્વીકારીએ તોપણ ગુજરાતી કવિતામાં અક્ષરમેળ છંદોને વ્યાપક રીતે પ્રથમ વખથ પ્રયોજવાનું અને ગુજરાતી કવિતાને સમાજાભિમુખ બનાવવાનું શ્રેય દલપતરામને મળે છે. આ ઐતિહાસિક મૂલ્ય સિવાય પણ ભાષાની સરળતા, ઘણી વખત લાઘવથી વિચારને રજૂ કરી દેવાની શક્તિ, છંદોની સફાઈ, દ્રષ્ટાંતો ને મર્માળા વિનોદથી વક્તવ્યને વેધક બનાવવાની સૂઝ, જનસ્વભાવનું ઊંડું અવલોકન વગેરે લાક્ષણિકતાઓથી એમની કવિતામાં આજે પણ કેટલોક કાવ્યગુણ પમાય છે. જનસમાજમાં એમના જેટલી લોકપ્રિયતા કોઈ ગુજરાતી કવિને ભાગ્યે જ મળી છે.દલપતરામનું ગદ્યસર્જન પણ વૈવિધ્યપૂર્ણ છે. ગ્રીક નાટ્યકારએરિસ્ટોફેનિસના ‘પ્લુટસ’ પરથી રચાયેલું‘ "લક્ષ્મીનાટક’(૧૮૫૧) એમનું રૂપાંતરિત નાટક છે. એમનું, અલબત્ત, ચિરંજીવ નાટક ‘મિથ્યાભિમાન’ (૧૮૭૦) છે. સંસ્કૃત અને લોકનાટ્યની શૈલીના સમન્વયમાંથી રચાયેલા આ અભિનયક્ષમ પ્રહસનમાં જીવરામ ભટ્ટના પાત્ર દ્વારા મિથ્યાભિમાની માનસવાળાં મનુષ્યોની મજાક ઉડાવી છે. ગુજરાતના ઘરોમાં ગૃહિણીઓ વચ્ચે પરસ્પર થતી વાતચીતનો ખ્યાલ ફૉર્બસને આપવાના હેતુથી રચાયેલી સંવાદરૂપ કૃતિ ‘સ્ત્રીસંભાષણ’ (૧૮૫૪), રંજનની સાથે બોધ આપતી‘તાર્કિકબોધ’ (૧૮૬૫) અને જ્યોતિષને નામે ભોળાં જનોને ધૂતી જનારા જોશીઓ પર કટાક્ષ કરતી 'દૈવજ્ઞદર્પણ.’ (૧૮૭૩) એ વાર્તાત્મક રચનાઓ તથા ફૉર્બસ મૃત્યુ વખતે ‘બુદ્ધિપ્રકાશ’ માં પ્રગટ થયેલા, ચરિત્રના અંશો ધરાવતા સંસ્મરણલેખો (૧૮૬૫-૬૬) તેમ જ દુર્ગારામ મહેતાજીને અંજલિ આપતા લેખો (૧૮૭૬-૭૭), ઉપરાંત, ‘પ્રેમાનંદ-શામળચર્ચા’ (૧૮૬૩) જેવો સાહિત્યચર્ચાનો લેખ—આટલું એમનું પ્રકીર્ણ ગદ્યસર્જન છે. એ સિવાય ફૉર્બસની પ્રેરણાએ અને ઇનામી સ્પર્ધાઓમાં ભાગ લેવાની વૃત્તિથી એમણે ‘ભૂતનિબંધ’ (૧૮૪૮), ‘જ્ઞાતિનિબંધ’ (૧૮૫૧), ‘પુનર્વિવાહપ્રબંધ’ (૧૮૫૨), ‘શહેરસુધરાઈનો નિબંધ’ (૧૮૫૮) વગેરે સુધારાલક્ષી નિબંધો પણ લખ્યા છે. વિષયની વ્યવસ્થિત માંડણી, વિચારની ક્રમબદ્ધતા ને પારદર્શકતા, ઊંડાણ કરતાં વિસ્તારનો વિશેષ અનુભવ કરાવતા આ નિબંધોનું ગદ્ય નર્મદના ગદ્યની તુલનામાં ફિસ્સું છે.‘ગુજરાતી પિંગળ/ ‘દલપતપિંગળ’ (૧૮૬૨) અને‘અલંકારાદર્શ’ (મરણોત્તર, ૧૯૪૮) એમના છંદ અને અલંકારની ચર્ચા કરતા ગ્રંથો છે. 'વિદ્યાબોધ’ (૧૮૬૮), ‘કાવ્યદોહન’- ભા. ૧-૨-૩ (૧૮૬૨), ૭૦૦ કહેવતોનો સંગ્રહ ‘કથનસપ્તશતી’ (૧૮૬૨), ‘શામળસતસઇ’, ‘ગુજરાતના કેટલાએક ઐતિહાસિક પ્રસંગો અને વાર્તાઓ’ (મરણોત્તર, ૧૯૩૩),‘રત્નમાળા’ (મરણોત્તર, ૧૯૦૩) એમના સંપાદનગ્રંથો છે. ‘પ્રવીણસાગર’ (૧૮૮૨) એમણે કરેલું ભાષાંતર છે.‘શ્રવણાખ્યાન’ (૧૮૬૮), ‘જ્ઞાનચાતુરી’ વગેરે એમની વ્રજભાષાની રચનાઓ છે. એમણે ‘ગોડ સેવ ધ કિંગ’ નો અનુવાદ પણ ૧૮૬૪માં આપ્યો છે.
Comments
Post a Comment